અમદાવાદ શહેરમાં AMTS બસચાલકોની બેફામ ડ્રાઇવિંગ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. શહેરના પંચવટી પાંચ રસ્તા પાસે એક AMTS બસચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. શહેરમાં જાહેર પરિવહન સેવાના ચાલકોની આવી ગેરજવાબદાર વર્તણૂકને કારણે નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. કારને ટક્કર વાગતાની સાથે જ કારની એર બેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે કારચાલક અને તેમની સાથેની વ્યક્તિને ગંભીર ઈજા થતાં બચી ગઈ હતી. જોકે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના ફરી એકવાર વાહનોમાં સુરક્ષાનાં સાધનો નું મહત્વ દર્શાવે છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ અકસ્માત બાદ ફરી એકવાર શહેરમાં AMTS અને BRTS બસચાલકોની બેફામ ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવાની માંગ ઊઠી છે. પ્રત્યક્ષદર્શીઓના મતે, બસચાલકની ઝડપ અને બેદરકારીના કારણે આ ઘટના બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બસચાલકની પૂછપરછ શરૃ કરી છે. લોકોની સલામતી માટે સત્તાવાળાઓ દ્વારા બસચાલકોની ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને બેદરકારી દાખવનારા સામે કડક સજા કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે.
