February 6, 2026
ગુજરાતરાજકારણ

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

ગુજરાતના રાજકારણના આજના સૌથી મોટા સમાચારોમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓએ  ગુરુવારે પોતાના રાજીનામાં આપી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  રાજ્યપાલને મંત્રીઓના આ રાજીનામાં સુપરત કર્યા. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે આજે, શુક્રવારે, સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાશે.

કેબિનેટમાં મોટા ફેરફારોના સંકેતો:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા આ વખતે ૨૦૨૧ની જેમ જ ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા પર ભાર મૂકવામાં આવશે અને મંત્રીમંડળમાં નવા ચહેરાઓ પર વિશેષ ફોકસ રહેશે.
* નવા મંત્રીમંડળનું કદ: મુખ્યમંત્રી સહિત કુલ ૨૨ થી ૨૫ મંત્રીઓનું સંખ્યાબળ ધરાવતું મંત્રીમંડળ શપથ લે તેવી શક્યતા છે, જે વિધાનસભાની ૧૮૨ બેઠકોના નિયમ મુજબ ૨૭ મંત્રીઓની મર્યાદાની નજીક હશે.
* સંભવિત ફેરફાર: હાલના ૧૬ મંત્રીઓમાંથી ૭ થી ૧૦ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે જ્યારે ૩ થી ૫ મંત્રીઓને જાળવી રાખવામાં આવશે.
* બે Dy CM: સૌથી મોટી અટકળ એ છે કે પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણોને સંતુલિત કરવા માટે ગુજરાતને બે નાયબ મુખ્યમંત્રી (Deputy CM) મળી શકે છે.

જ્ઞાતિગત અને પ્રાદેશિક ફોકસ:
પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર, પાટીદારો અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાયને વિશેષ તવજ્જો આપવામાં આવશે.
* પાટીદાર/સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળવું લગભગ નિશ્ચિત મનાય છે.
* નવા ચહેરા: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોમાંથી અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, સી.જે. ચાવડા અને હાર્દિક પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
* સંભવિત ડ્રોપ થનારા મંત્રીઓ: જે રાજ્ય મંત્રીઓને પડતા મુકાય તેવી સંભાવના છે તેમાં પુરુષોત્તમ સોલંકી (મત્સ્ય અને પશુપાલન), બચુભાઈ ખાબડ (પંચાયત), મુકેશ પટેલ (વન અને પર્યાવરણ), ભીખુસિંહ પરમાર (ખાદ્ય અને નાગરિક પુરવઠો) અને કુંવરજી હળપતિ (આદિવાસી વિકાસ) નો સમાવેશ થાય છે.

મોડી રાત સુધી હાઈવોલ્ટેજ ડ્રામા:
નવા મંત્રીમંડળની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે. અમિતભાઈ શાહ રાત્રે ૯ અને જે.પી. નડ્ડા આજે સવારે આવશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ચૂક્યા છે.

૨૦૨૭ની ચૂંટણીની તૈયારી – મંત્રીમંડળ વિસ્તરણના ૪ મુખ્ય કારણો:
૧. ત્રણ વર્ષથી કોઈ ફેરફાર નહીં: ૨૦૨૨માં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા પછી ત્રણ વર્ષથી મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થયો નથી. ૨૦૨૭ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ આ મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
૨. વિસાવદરની અસર અને કામગીરી: હાલના મોટાભાગના મંત્રીઓ ભાજપના મોવડીમંડળની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. તાજેતરમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ પ્રયાસ કરવા છતાં આપના ગોપાલ ઇટાલિયા સામે ભાજપ જીતી ન શક્યું, જેનો પડઘો આ વિસ્તરણમાં દેખાશે.
૩. જુના દિગ્ગજોને પરત લાવવાની વ્યૂહરચના: વિસાવદરની હારથી ભાજપ કોઈ જોખમ લેવા માંગતું નથી. ૨૦૨૭ની ચૂંટણી પહેલા લાંબા સમયથી દરકિનાર થયેલા શક્તિશાળી જૂના નેતાઓને મોટી જવાબદારીઓ આપીને પક્ષમાં સંતુલન લાવવાની તૈયારી છે.
૪. સત્તા વિરોધી લહેર ટાળવા: નરેન્દ્રભાઈ મોદીના CM કાર્યકાળ પછી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પણ ફેરફારો થયા હતા, જે સત્તા વિરોધી લહેરને ટાળવા માટેની વ્યૂહરચના હતી. જાન્યુઆરીમાં નગર પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી હોવાથી સુધારાત્મક પગલાં લેવા જરૂરી બન્યા છે.

Related posts

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો