શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ
તપોભૂમિ ત્રાપજ ગામના વતની અને વ્યવસાયે ખેતીવાડી સાથે સંકળાયેલા શ્રી મહેશસિંહ ગોહિલ તથા તેમના ધર્મપત્ની અ.સૌ. ભાવનાબા મહેશસિંહ ગોહિલ દ્વારા સમાજ માટે શિક્ષણ પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું એક અદભૂત ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
સંઘર્ષથી સફળતા સુધીની સફર એક સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં, તેઓશ્રી એ પોતાના બંને હોનહાર પુત્રોના શિક્ષણને જ જીવનનું લક્ષ્ય બનાવ્યું. તેમણે અંદાજે રૂ. ૧.૨૦ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરીને પોતાના પુત્રોને બાલમંદિરથી લઈ ન્યૂયોર્ક યુનિવર્સિટી (USA) માં અભ્યાસના ઉચ્ચ શિખરો સર કરાવ્યા છે:
ચિ. સત્યપાલસિંહ મહેશસિંહ ગોહિલ: M.Tech (AI), ન્યૂયોર્ક યુનિવર્સિટી, USA.
તથા ચિ. કિશોરસિંહ મહેશસિંહ ગોહિલ (B.Tech.)
પુત્રોના આ શૈક્ષણિક ઘડતરમાં માતૃશ્રી ભાવનાબાનો ફાળો અત્યંત પ્રશંસનીય અને પાયાનો રહ્યો છે.
ઐતિહાસિક વિદ્યાદાનનો પ્રેરક સંકલ્પ
જન્મદિવસની અનોખી ભેટ તાજેતરમાં તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ તેમના જ્યેષ્ઠ પુત્રના જન્મદિવસ નિમિત્તે, આ પરિવાર દ્વારા સમાજ માટે એક ક્રાંતિકારી અને સેવાભાવી નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યની પેઢી સંસ્કાર અને વિવેકપૂર્ણ શિક્ષણ મેળવે તેવા પવિત્ર હેતું થી શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ નિર્મિત મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી વિદ્યાસંકુલ, વરતેજ માટે રૂ. ૧,૩૬,૩૬,૬૩૬/- (અંકે એક કરોડ છત્રીસ લાખ છત્રીસ હજાર છસ્સો છત્રીસ પુરા) ની માતબર રકમનું “વિદ્યાદાન” આવનારા (૨૦ વર્ષ ) સુધીમાં પૂર્ણ કરવા સંકલ્પ કર્યો છે આ વિદ્યાદાન સંકુલ નિર્માણ અને શિક્ષણ ના હેતુ માટે આપવા માટે જાહેર કરવામાં આવ્યું છે. આ દાન માત્ર રકમ નથી, પરંતુ સામાન્ય પરિવારના હજારો બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આશા છે.આ સંકલ્પ ભાગરૂપ તેમના તરફથી આજે ટોકન સ્વરૂપ રૂપિયા ૩૬૬૩૬ સંસ્થા ને પ્રાપ્ત થયા છે
* ઋણ સ્વીકાર અને વંદના
શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલ (ભાવનગર) ની સમગ્ર ટીમ શ્રી મહેશસિંહ ગોહિલ, અ.સૌ. ભાવનાબા અને તેમના સુપુત્રોની આ ઉમદા સમાજભાવનાને હૃદયપૂર્વક બિરદાવે છે. શિક્ષણ પ્રત્યેની તમારી આ દીર્ઘદ્રષ્ટિ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે.
