વડાપ્રધાન મોદી આજે સાંજે બે દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ સહિત રાજ્યભરમાં ૫૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં રેલ્વે, રોડ, શહેરી વિકાસ, વીજળી અને ઓટોમોબાઈલ ક્ષેત્રના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીના સ્વાગત-સત્કાર માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને તૈયારીઓ પૂરી કરી દીધી છે. વડાપ્રધાન એરપોર્ટ ખાતે આવીને સીધા જ નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેરસભાને સંબોધવા માટે રવાના થશે. જાહેરસભા બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને મંગળવારે બેચરાજી-માંડલ ખાતે હાંસલપુર ખાતે આવેલા મારૂતી કંપનીના ઇલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પરત ફરી વડાપ્રધાન નવી દિલ્હી તરફ જવા રવાના થશે
